સ્વગતોક્તિ's image
1 min read

સ્વગતોક્તિ

Niranjan Narhari BhagatNiranjan Narhari Bhagat
0 Bookmarks 101 Reads0 Likes

સ્વગતોક્તિ :
મેરિન સ્ટ્રીટ, પડખેથી આંધળો પસાર થાય છે,
એને જોઇને ફેરિયો :
આ આંધળો છે તે છતાં
ફરતો ફરે છે બેપતા!
ગિરગામ રોડ, પડખેથી ભિખારી પસાર થાય છે,
એને સાંભળી આંધળો :
આ કોણ છે ? જેની નજર તોફાન મચવે,
ને હથેલીમાં રૂપાળું આ જગત નચવે!
કોલાબા, પડખેથી વેશ્યા પસાર થાય છે, એને જોઇને ભિખારી :
અરે, આ દેહ પર છે કેટલી દોલત!
દસમા ભાગની મારી કને જો હોતને
તો આમ ન બોલત!
એપોલો, પડખેથી પતિયો પસાર થાય છે, એને જોઈને વેશ્યા:
અહો, શી ખુશનસીબી! કોઇનીયે આંખ જ્યાં
રોકાય ના,
છૂરી સમી ભોંકાય ના!
બોરીબંદર, પડખેથી કવિ પસાર થાય છે, એને જોઈને પતિયો:
વેશ્યા, ભિખારી, આંધળો ને ફેરીઓ,
ક્હો, કેમ લાગે છે મને સૌ આ જનમનાં વેરીઓ ?
મધરાત, એકાંતમાં એની કાવ્યપોથીમાં, કવિ :
બસ ચૂપ ર્હો, નહીં તો અહીંથી ચાલવા માંડો...

No posts

Comments

No posts

No posts

No posts

No posts